નકલી નિમણૂંક પત્રના આધારે એલઆરડી તરીકે નોકરી મેળવવાના કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ જૂન કૌભાંડમાં ધરપકડનો આંક ૨૫ પર પહોંચ્યો છે. હજુ બે મુખ્ય સૂત્રધાર સહિત ૧૫થી વધુ આરોપીઓ વોન્ટેડ છે
શહેર પોલીસમાં LRD ના નકલી નિમણૂંક પત્રના આધારે નોકરી મેળવવા આવેલો યુવાન ઝડપાઈ જતા ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં ૨૮ જેટલા એલઆરડીના નકલી નિમણૂંક પત્રો રૂા.૪ લાખ સુધીની રકમ લઈ વેચવામાં આવ્યાનું ખુલ્યું હતું, જેના આધારે ક્રાઈમ બ્રાંચે નકલી નિમણૂંક પત્રો 4 ખરીદનાર ઉમેદવાર અને વચેટીયાઓની ધરપકડનો દૌર શરૂ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે ૨૧ આરોપીઓની ધરપકડ કરી હતી.નાસતા ફરતા વધુ ચાર આરોપીઓની આજે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જેમાં જયદિપ રવુભા ખાચર (ઉં.વ.૨૬), શૈલેષ ચોથાભાઈ પલાડીયા (ઉ.વ.૨૮), અશ્વિન જગદિશભાઈ ચાવડા (ઉં.વ.૨૭) (રહે. ત્રણેય બરવાળા, તા. જસદણ) અને સોમાભાઈ વાધાભાઈ અજાડીયા (ઉં.વ.૨૧, રહે. નવાગામ)નો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને આવતીકાલે ક્રાઈમ બ્રાંચ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. આ કૌંભાડના બે મુખ્ય સૂત્રધારોને ક્રાઈમ બ્રાન્ચ ઘણાં સમયથી શોધી રહી છે. પરંતુ હજુ સુધી હાથમાં આવ્યા નથી. વચેટીયા અને ઉમેદવારો સહિત પણ અંદાજે પંદરેક આરોપીઓ વોન્ટેડ છે. આ તમામને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની જુદી જુદી ટીમો ઘણા સમયથી દોડધામ કરી રહી છે.
